"મધુરભર્યા સત્યની સંગાથે..."
સમયની પ્રતીક્ષા || ARTICLE
- Get link
- Other Apps
" સમયની પ્રતીક્ષા "
આજકાલના ફાસ્ટ એન્ડ ફ્યુરીસ યુગમાં બધાને બધું તાત્કાલીક જ જોઈએ છે. આજ નોકરીએ લાગો ને કાલ ડબલ પગાર થવો જોઈએ.
એક રાજ્યના રાજા અને રાણીને ત્યાં એક રાજકુંવરનો જન્મ થયો. આખા રાજ્યમાં ચોમેર હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો. રાજાએ ખોબલે ને ધોબલે બ્રાહ્મણોને દક્ષિણા આપી. પ્રજાજનોને મીઠાઈ વહેંચી. રાજ દરબારમાં ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવાયો. સમય જતા એ રાજકુંવર આઠ વર્ષનો થયો. એકને એક સંતાન એટલે રાજા એની મોં માંગી જરૂરિયાતો પૂરી કરે. રાજા પણ ખૂબ જ સમૃદ્ધ.
Now જસ્ટ ઈમેજીન કે રાજા પાસે ગમે તેટલી ધન સંપત્તિ હોય, આખા પૃથ્વીનું રાજ્ય હોય તોય રાજકુંવરને કાલ ૨૦ વર્ષનો કરવો હોય તો કરી શકે ખરા !! ભલે રાજ્યમાં ગમે તેટલી સમૃદ્ધિ હોય.. એની માટે તો બાકીના બાર વર્ષ સુધી રાહ જ જોવી પડે. ધેર ઈઝ નો અધર ઓપ્શન !
આ જ રીતે આપણા જીવનમાં અમુક નિર્ણયો અને પરિણામો સમયની પ્રતિક્ષા પર છોડી દેવા જોઈએ. આપણે એવું વિચારીએ કે મારે બોર્ડની પરીક્ષા પછી તરત બીજા જ દિવસે પરિણામ જોઈએ છે, તો શું એ શક્ય છે ખરા ?? હા... પોતાના અંદાજે પરિણામનું માત્ર અનુમાન લગાવી શકીએ પણ ચોક્કસ ગણતરી સાથેનું મૂલ્યાંકન આંકડો જોવા માટે તો પરિણામની તારીખ સુધી રાહ જ જોવી પડે.
કેટલાકને થોડાક દિવસોમાં જાજુ પૈસાવાળું થવું હોય છે, એ પણ મહેનત કર્યા વગર. વધી ઘટી મિલકતનો એકાદ ટુકડો ઓછો કરી સટ્ટામાં પૈસા નાખે, એ આશાએ કે ડબલ પૈસા પાછા આવશે પછી તો જલસા જ છે ને ! એક વાર હારે તોય બીજી વાર ગજ ગજ છાતીએ સાહસ કરે.. ને છેલ્લે બધું સોપારીના મુંડા જેવું થઈ જાય. ખાવાનાય ફાંફાં પડે. રસ્તો ન જડે તો આત્મઘાત પણ કરી લે.
ભગવાન શ્રીકૃષ્ણએ ૧૮ વખત જરાસંધને દરેક યુદ્ધમાં જીવતો જવા દીધો. શું કૃષ્ણ સમર્થ નહોતાં ? જે કાનો કંસ અને પૂતના જેવા અસુરોને ચપટીમાં ખતમ કરી શકતો હોય એની સામે જરાસંધ શું ચીજ કેવાય..? છતાંય ભગવાને એનો વધ ન કર્યો. જ્યારે સમય આવ્યો ત્યારે ભીમના હાથે તેનો વધ કરાવ્યો. શું પ્રભુ ધારત તો એને પહેલી જ વખતમાં સમાપ્ત ન કરી શકેત ? પરંતુ પ્રભુએ યોગ્ય સમયની પ્રતીક્ષા કરી.
અમુક સફળતા અને અમુક ફળ એ યોગ્ય સમયે જ મળે છે. માટે સમયની પ્રતીક્ષા અનિવાર્ય છે. એટલે જ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે, " ઉતાવળે આંબા ન પાકે " આજ આંબો વાવીએ અને કાલ કેરી ખાવા ન મળે. એની માટે વર્ષો સુધી રાહ જોવી પડે, એની દેખભાર રાખવી પડે, પછી કેરીનો સ્વાદ ચાખવા મળે.
વરસાદને પણ વરસવા ચોમાસાની રાહ જોવી પડે છે. (આપણી બહાદુરીને કારણે હવે ઋતુચક્ર ખોરવાઈ ગયું એટલે વરસાદને ચોમાસા સુધી રાહ જોવી નથી પડતી એ આપણો પ્લસ પોઇન્ટ ખરો!) સૂર્યને પણ ઉગવા માટે સવાર સુધી રાહ જોવી પડે છે. અમાસ પછી ચંદ્રમાને પણ સોળેય કળાએ ખીલવા પંદર દિવસ સુધી પૂનમની રાહ જોવી પડે છે. તો પછી માણસને અમુક બાબતોમાં કે પરિસ્થિતિઆમાં રાહ જોવી પડે એમાં નવાઈ શાની..??
સમયની પ્રતીક્ષાનો અર્થ એવો પણ નથી કે આપણે સાવ નવરા જ બેસી રહીએ, કાંઈ મહેનત જ ન કરીએ, બધું સમય પર છોડી દઈએ, પુરુષાર્થને તિલાંજલિ આપી દઈએ ને આજનું કામ કાલ પર છોડી દઈએ. ના..! સમયની પ્રતીક્ષા કરવી એટલે જે આપણા હાથમાં હોય, જે આપણાથી સારી રીતે થઈ શકતું હોય એ કાર્ય પૂરી નિષ્ઠાથી અને ખંતથી કરવાનું. પરંતુ જે વાત કે વસ્તુનો કાબુ આપણા હાથમાં નથી એને સમય પર જ છોડી દેવો યોગ્ય કહેવાય.
- Get link
- Other Apps
Comments
Post a Comment
Thanks for comments