"મધુરભર્યા સત્યની સંગાથે..."
ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર ..? ॥ Learning without load in heavy learning ..?
- Get link
- Other Apps
“ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર?”
શિક્ષણનો મુખ્ય હેતુ માનવ સમાજના શ્રેષ્ઠત્તમ ચારિત્ર્ય નિર્માણનો
છે, પરંતુ હાલ પરિસ્થિતિ કાંઈક જુદી છે. શિક્ષણ વ્યવસાયલક્ષી બની ગયુ એટલે એમાં માહિતી
હોવાની, કેળવણી નહિ.
અત્યારે… “સૌથી વધુ ભ્રષ્ટાચાર કોણ કરે છે ?
“ સૌથી વધુ ક્રાઈમ કોણ કરે છે ?”
“ યુવાવયમાં સૌથી વધુ આપઘાત કરનારા કોણ છે ?”
ત્રણેયના જવાબ મળશે – “ભણેલાં..!”
“सा विद्या या विमुक्तये ” અર્થાત, દરેક પ્રકારનાં બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ મળે જેની આંખે આ વાક્ય ન જોયું હોય. વાત પણ સાચી, વિદ્યા વગર વાસ્તવિકતાને પારખી શકાતી નથી.
શિક્ષણ મેળવનારાની સાપેક્ષે રોજગારી મેળવનારા કેટલાં..? સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી માનસિક બિમારીઓ મોટા ભાગે ભણેલાં લોકોને જ કેમ વરેલી હોય છે? છેતરપિંડી કરવામાં નોન એજ્યુકેટેડ કરતાં એજ્યુકેટેડ પર્સન વધારે છે. ગામને પાદરે ખિલખિલાટ કરતો કરચલી વાળો ચહેરો જોઈને થાય કે કદાચ ઓછું ભણેલા લોકો વધુ મોજથી જીવી જાય છે. ખલીલ સાહેબની એક કવિતા અહીં હ્રદયસ્પર્શી વાત સમજાવી જાય છે-
“એ સમયના માસ્તરના હાથમાં સોટી હતી, પણ ભણાવવાની રસમ કે રીત
શું ખોટી હતી?
મારા અને તારા સમયમાં એ ફરક છે દિકરા, તારા રુપિયા કરતા મારી
પાવલી મોટી હતી.”
–
પદ્મશ્રી ખલીલ ધનતેજવી
સફળ શિક્ષણ તરફ મૂકેલી દોટમાં આપણે કશુંક ભુલી રહ્યા હોય
એવું નથી લાગતું..?
શિક્ષણ બાળકને ખીલવા માટે હોય છે, નહિ કે કરમાઈ જવા માટે.!
બિચાકરાના ખભા પર પહેલેથી જ એટલો ભાર નાખી દેવામાં આવે કે ચાલની શરુઆતમાં જ પાછળની
બાજુ ઢબી જાય. પહેલાં ધોરણમાં ભણતાં બાળકનું સવારના સાત વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા
સુધીનુ શેડ્યુલ ફિક્સ થઈ ગયું હોય, ઈન્ક્લુડિંગ ક્લાસિસ એન્ડ હોમવર્ક..! જો કે હવે
ગૃહકાર્ય પણ ગધામજૂરી થઈ ગઈ; માથું ઉંધુ ઘાલીને લખ્યા જ કરવાનું, પુરુ થાય ત્યાં સુધી..!
માતૃભાષામાં શિક્ષણ આપવાની અપીલ છતાંય વાલી અને માસ્તરો અંગ્રેજી
પાછળ ઘેલા થયા છે. જન્મતાની સાથે જ માં ને બદલે મોમ બોલાવવામાં આવે છે. શિક્ષણની શરુઆત
કલમના ક ની બદલે એ ફોર એપલથી થાય છે. માતા-પિતાને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો હભરખો
આકાશને આંબે એવડો હોય. ઈંગ્લિશ ન બોલતાં અને માતૃભાષામા વાત કરતાં બાળકને સમાજમાં ઢગલાનો ઢ ગણવામાં આવે છે..! મિત્રો, ગુજરાતી(માતૃભાષા)
ભૂલીને ઇંગ્લિશ શીખવું
નિરક્ષરતા બરાબર જ છે.
વાલીશ્રીનું અને શાળાનું નામ રોશન થાય એવા સ્વાર્થી હેતુ
ખાતર બાળક પર બન્ને બાજુથી પ્રેશર નાખવામાં આવે છે. કેપેસિટી જોયા જાણ્યા વગર હદ કરતા
વધારે આશા રાખે, પાડોશીના છોકરાને ૯૦ % આવે તો મારા છોકરાને કેમ નહી..??
ઓશોએ અદ્ભુત કહ્યું, “સાચું શિક્ષણ શીખવે છે કે જીવનને સંઘર્ષની
રીતે નહી પણ ઉત્સવની રીતે લો. જીવન માત્ર ઉપયોગિતા જ ન હોય, જીવન માત્ર આનંદ જ ન હોય.
ગાયન, નૃત્ય, કાવ્ય, સંગીત અને ચિત્રકલા તમામ આ જગતમાં ઉપલબ્ધ છે. અત્યારે શિક્ષણ એ
તમામ સાથે પણ તમને એક નચકલી બનવા માટે તૈયાર કરે છે. તમને એ શીખવે છે કે બીજાના જેવુ
કેવી રીતે બનવું ? આ અભણતા છે. સાચું શિક્ષણ તમને શીખવે છે કે કેવી રીતે પોતાને પ્રાપ્ત
થઈ જવું. તમે અદ્વિતીય છો, તમે યુનિક છો, તમારા જેવુ બીજુ કોઇ નથી. આ તમારા માટે પરમાત્માનો
સૌથી મોટો પ્રસાદ છે. ”
(‘શિક્ષણઃ ઓશોની દ્રષ્ટિએ’ માંથી)
સર્જનશીલતાના શિક્ષણ દ્વારા જ અંદરનો સર્જક ખીલી શકે છે.
દરેક બાળક પાસે કાંઇક ખાસ હોય છે. દરેક બાળક કલાકાર હોય છે. ખેલકૂદ, ચિત્ર, લેખન, ગાયન
કે વકૃત્વ સ્પર્ધામાં ટોપ કરતો વિદ્યાર્થી ભણવામાં ટોપર હોય એવું જરુરી નથી. ગણિત અને
વિજ્ઞાનની ફાવટ વાળો વિદ્યાર્થી સમાજવિદ્યામાં નબળો પણ હોય શકે. વિક્ટ પરિસ્થિતિમાં
બેક બેન્ચર્સ પોતાની સૂઝ-બૂઝ વડે જુગાડ કરીને જેવો ઉકેલ લાવી શકે એવો ઉકેલ લાવવામાં ફ્સ્ટ
બેન્ચર્સ પાછળ પણ રહી જાય. ક્લાસમાં અમુક વાતુડિયાઓની વાણી એટલી મીઠી હોય કે કોઈ પણ
શિક્ષક પાસે જઈ માખણના મસ્કા મારી પી.ટી. ના લેક્ચર્સ પાસ કરાવી શકે, ધિસ ઇસ વન ટાઇપ
ઓફ કોમ્યુનિકેશન સ્કિલ. “પ્રત્યેક બાળક કલાકાર હોય છે, પ્રશ્ન એ છે કે એ મોટો થાય પછી
કલાકાર રહેશે શી રીતે?”
(પાબ્લો પિકાસો)
બાળક માત્ર પરીક્ષાલક્ષી નહિ પરંતુ જીવનલક્ષી પરિસ્થિતિઓ
માટે તૈયાર થાય એ ખાસ જરુરી છે. ગોખણીયું જ્ઞાન છેલ્લાં પેપર સુધી જ સિમિત રહે છે.
જિંદગીના પ્રશ્નપત્રમાં ગોખણીપટ્ટી જરાય સાર્થક નીવડતી નથી.
આપણી ભારતીય સંસ્કૃતિમાં શાળાને વિદ્યામંદિરનો દરજ્જો આપવામાં
આવ્યો છે. કૃષ્ણ, બલરામ કે સુદામાને સાંદીપનિ ઋષિના આશ્રમમાં પરાણે ઢસડીને મોકલવાં
પડ્યાં હોય અને રામ – લક્ષમણે
વશિષ્ઠમુનિના આશ્રમાં ચાલું લેક્ચરે બંક માર્યો હોય એવો ઉલ્લેખ મે ક્યાંય વાંચ્યો નથી.
અત્યારે તો શાળા અને કોલેજોમાં મોર્ડન ક્લાસરુમ હોવાં છતાંય સ્કૂલ કે કોલેજનું નામ
સાંભળતાની સાથે વિદ્યાર્થીના ચહેરા પરનું હાસ્ય ખોરવાઈ જાય છે. સ્ટુડન્ટસને શિક્ષણ
પ્રત્યે આટલી હદે નફરત પેદા થવાનું કાંઇક તો છૂપુ કારણ હશે ને..?? જરા વિચારીએ.
ભણતરમાં જ ભારોભાર બોજ બેસી ગયો પછી ભાર વિનાનું ભણતર ક્યાંથી
મળી શક્શે ! અભ્યાસક્રમમાં જથ્થાની નહી પણ ગુણવત્તાની જરુર છે. આજના વિદ્યાર્થીની માનસિકતા
એવી બંધાઈ છે કે અત્યારે ભણેલું ક્યાં કામ આવવાનું છે? એમનો પશ્ન બિલકુલ વ્યાજબી છે.
દુનિયાનું દરેક ક્ષેત્ર દરરોજ અપડેટ થતું રહે છે ને અભ્યાસક્રમ દર પાંચ વર્ષે બદલાય
છે. ગમે એટલું શીખ્યા પછી વાસ્તવિક મેદાનમાં ઉતરે ત્યારે પરિસ્થિતિ અલગ હોવાની જ ને.!
થિયરીની સાથે અનુભવાત્મક અને પ્રેકટીકલ જ્ઞાનની ખાસ્સી જરુર છે.
દેશમાં થતાં હુલ્લડો અને આંતકી પ્રવૃતિ સદવિદ્યાની ઉણપ દર્શાવે
છે. બંદૂક કેવી રીતે ચલાવવી એ વિદ્યા દ્વારા શીખવાડી શકાય પરંતુ બંદૂક ક્યાં અને કોની
સામે ચલાવવી એ સદવિદ્યા દ્વારા જ શીખવાડી શકાય. માટે વિદ્યાની સાથે સદવિદ્યાનું સિંચન
થવું ખાસ જરુરી છે. જો કે હવે ભગવદગીતા જેવા ગ્રંથોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરી શિક્ષણને
સાચી દિશામાં એક નવો વળાંક અપાયો છે. સરકારશ્રી તરફથી વહેતો મૂકાયેલ નવી શિક્ષણનીતિનો
પ્રવાહ સીમના છેવાડા સુધી પહોચતાં થોડી વાર તો લાગશે..!
ભાર વિનાનુ ભણતર ત્યારે જ શક્ય બનશે, જ્યારે ભણતરની સાથે ગણતર કેળવવાનો શોખ અને ઉત્સાહ જાગૃત થશે.
- Get link
- Other Apps
Comments
Post a Comment
Thanks for comments