" કોડિયું..."
અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’
– ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી)
શાળામાં અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીએ ક્યાંક ને ક્યાંક આ કવિતાનો સામનો અવશ્ય કર્યો હશે. મેં પણ કર્યો છે. એ ચાહે પછી ભલે પ્રશ્નપત્રના પદ્યાંશ ગ્રહણમાં હોય..! જે શબ્દોના સર્જક રવીન્દ્રનાથજી હોય અને જેનો ગુજરાતીમાં અનુવાદ મેઘાણીની કલમે કર્યો હોય એમાં ગહનતા તો હોવાની જ ને !!
જ્યારે જ્યારે પણ પરીક્ષાના પ્રશ્નપત્ર પર આ કવિતા છપાયેલી દેખાય અને એની નીચે ચાર કે પાંચ પ્રશ્ન પૂછાયેલા દેખાય એટલે પરીક્ષાર્થીઓને તો જલસો જ પડી જાય. કેમ કે, સાવ નાનકડું કાવ્ય. એમાંય પાંચ પ્રશ્નો. એટલે ગોખેલા જવાબ શબ્દ શીખે જવાબ પેપરમાં ટાંકીને આવે. અને પરીક્ષા ખંડમાંથી બહાર નીકળ્યા પછી ગૌરવભેર સામે મળે એને કહેતો જાય, " પાંચ માંથી પાંચ રોકડા..!"
મને પણ આજ દિન સુધી એમ જ હતું. પણ શું.. ખરેખર આ કવિતા માત્ર ને માત્ર પાંચ ગુણ રોકડા મેળવવા પૂરતી જ સીમિત છે ? એ શબ્દોની ગહનતા પરીક્ષાખંડ સુધી જ મર્યાદિત છે ? ના..જરાય નહિ !!
આ કવિતા જેટલી પરીક્ષામાં મદદરૂપ નીવડે છે એટલી જ પરિણામ સમયે સમજણ કેળવવામાં પણ મદદરૂપ નીવડે છે.
આજના સમયના કહેવાતા પુખ્તવયના કિશોરો નિષ્ફળતા સામે ઝડપથી હાર માની જતા હોય છે. એની પાસે પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની કે ટક્કર લેવાની શક્તિ અંદરથી જ નાબૂદ થતી જાય છે.
Sorry ! I can't do this..
મારા હાથની વાત જ નથી..
મારી પાસે સાનુકૂળ સંજોગો નથી..
પછી નિરાંતે કરીશ..
પ્રત્યુતરમાં આવા નિરાશાજનક જવાબ મળતા હોય છે.
કવિતામાં વાત એમ છે કે સંધ્યાકાળનો સમય છે. સુરજ દાદા અસ્ત થવાની તૈયારીમાં છે. પક્ષીઓ પોતાના માળા તરફ પ્રયાણ કરી રહ્યા છે. મંદિરોમાં ઝાલરોનો નાદ સંભળાઈ રહ્યો છે. ગાયોના ભાંભરડા નેહડા તરફ આવી રહ્યા છે. એવામાં આથમતા સૂરજને ચિંતા થાય છે. અને તેથી પ્રશ્ન કરે છે કે, "મારા અસ્ત થયા બાદ મારુ કર્તવ્ય કોણ સારશે..? આ પૃથ્વીને પ્રકાશ પાથરવાનું કાર્ય કોણ કરશે..?" આ પ્રશ્ન સાંભળી બધા જ સ્તબ્ધ થઈ ગયા. સૌ એક બીજા સામે જોવા માંડ્યા અને વિચાર કરવા લાગ્યા કે આવું અઘરું કામ કોણ કરી શકે ? નથી આપણી પાસે સૂર્ય જેટલો પ્રકાશ..! એવું વિચારે છે, ત્યાં એક ખુણેથી એક નાનકડું કોડિયું બોલ્યું, "હે ભગવન ! મારી જેટલી ક્ષમતા છે. જ્યાં સુધી મારી પ્રકાશ પહોચાડવાની શક્તિ છે. એટલું કામ મને સોંપો તો હું એ કાર્ય કરવા તૈયાર છું. અર્થાત જ્યાં સુધી મારામાં તેલનું એક ટીપુ પણ હશે ત્યાં સુધી મારાથી અપાતો પ્રકાશ આપવાનો પ્રયત્ન હું પૂરી નિષ્ઠાથી ચોક્કસપણે કરીશ."
માટીનું નાનકડું એક કોડિયું જો એમ કહેતું હોય કે મારી ક્ષમતા જેટલું કાર્ય હું ચોક્કસપણે કરીશ તો પછી આપણને કયા મોઢે એમ કહેવાનો હક છે કે,
મારાથી આ કાર્ય નહીં સંભવે...
મને આ નહીં ફાવે..
મારા ભાગ્ય જ સાવ ખરાબ છે..
ગમે તેમ તો આપણે મનુષ્ય જીવ જ ને..!!
જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે, ઈશ્વરનો માથે હાથ છે, ત્યાં સુધી પ્રયત્નશીલ રહેવું એ આપણો હક અને ફરજ બંને છે.
~ MEET BHAGAT
Comments
Post a Comment
Thanks for comments