"મધુરભર્યા સત્યની સંગાથે..."
વાંચન કે વૉચિંગ..?? || સાહિત્ય અને સિનેમા !!
- Get link
- Other Apps
સાહિત્ય અને સિનેમા !!
મેં તો ગઈકાલ આખા દિવસમાં એક સિરીઝ પૂરી કરી નાખી...
તે પેલું મુવી જોયું છે ?? અરે..! એમાં હીરોની એન્ટ્રી ગજ્જબ છે. યાર..
તારી પાસે પેલું મુવી પડ્યું છે ?? હોય તો મને મોકલ ને !!
આ પ્રકારની વાતચીત કયાંક ને કયાંક આજની જનરેશન પાસેથી અવશ્ય સાંભળવા મળે.
તાત્પર્ય, ફિલ્મ કે સિરીઝ જોવાની વિરુદ્ધમાં જરાય નથી. પણ પ્રશ્ન ત્યાં છે કે હાલના સમયમાં જેટલું રેટિંગ અને વોટિંગ વોચિંગમાં છે એટલું વાંચનમાં છે ??
એ વાત સો ટકા સાચી કે, સિનેમા માણસમાં અભિવ્યક્ત થવાની કળા જાગ્રત કરે છે. દુનિયા કયા સ્ટેજ પર છે, એનાથી વાકેફ કરે છે. ટેકનોલોજી બાબતે વિશેષ ઘ્યાન દોરતાં કરે છે. ભાષા સજ્જતા દ્રઢ થાય છે. પરંતુ, વાત અને વિચાર ત્યાં અટકે છે કે, આજની પેઢી માત્રને માત્ર વોચિંગ તરફ જ વળી રહી છે. વાંચનથી દૂર થતી જાય છે. લોકો પાસે સાહિત્ય જગત તરફ નજર નાખવાનો સમય જ નથી !
સહજપણે સમજી શકાય, આ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ વાળી જિંદગીમાં વર્કલોડ કે ઓવરલોડમાં કામ પૂરું કરી માંડ-માંડ નવરા થયાં હોય, એમાં પુસ્તક વાંચવામાં રસ ક્યાંથી પડે ?? આપણને ધોળા કાગળ પરના કાળા અક્ષર કરતાં VFX જોવાની ટેવ વધારે પડી ગઈ છે !
સિનેમાનું મૂળ કહીએ કે ઉદભવ સ્થાન જે કહીએ તે સાહિત્ય જ છે. ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસરથી માંડી સ્ક્રિપ્ટ રાઈટર સુધી બધા જ વ્યક્તિઓ માટે જે તે વિષયબાબતે વિચારમંથન કરવાં સાહિત્યનું વાંચન જ મુખ્ય ભાગ ભજવે છે. કેમ કે, સિનેમામાં સમયમર્યાદા અનિવાર્ય અંગ છે. એટલે સિનેમામાં જે તે કહાનીના પાત્રનો મુખ્ય મુખ્ય ઘટનાક્રમ જ સમાવવામાં આવે છે. પાત્ર ભજવનાર વ્યક્તિ પણ વિષયવસ્તુ સમજવાં વાંચનનો સહારો લે છે અને એ વિષયવસ્તુના હ્રદય સુધી પહોંચી ને પછી પડદા પર પેશ આવે છે.
તારીખ 5, 6 માર્ચ 2023 ના રોજ પ્રખ્યાત વક્તાકાર પૂજ્ય ભાઈશ્રી ની નિશ્રામાં યોજાયેલ સાહિત્ય વાર્ષિક જ્ઞાનગોષ્ઠી એટલે કે સંસ્કૃતિ ચિંતન કાર્યક્રમમાં કટાર લેખક અને વક્તા જય વસાવડાને પ્રશ્ન પૂછવામાં આવ્યો, " સાહિત્ય અને સિનેમા આ બેઉમાંથી તમારા જીવનમાં વધુ અસર કોની છે? " જય વસાવડાએ અદભૂત પ્રત્યુતર આપ્યો," સાહિત્યમાં પેન કાગળ પર જાય છે, જ્યારે સિનેમામાં પેન કેમેરા પર જાય છે." આગળ તેઓએ કહ્યું કે, સ્ટીવન સ્પીલબર્ગ એટલે દુનિયાના મહાન દિગ્દર્શકોમાં જેમની ગણના થાય છે. જેમની કેટલીક સિનેમા ઓસ્કર એવોર્ડ સુધી પણ પહોંચી છે. એ સ્ટીવન સ્પીલબર્ગ અનિલ અંબાણીના ખાસ આગ્રહ અને આમંત્રણને લઈ મુંબઈ આવેલા ત્યારે એક કોન્ફરન્સ રાખેલી. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધુરંધરોની પણ ઉપસ્થિતિ હતી. એ દરમ્યાન સ્ટીવન સ્પીલબર્ગને અમિતાભ બચ્ચનજીએ એવું કહી અને પ્રશ્ન પૂછેલો કે, " મારા પિતા સાહિત્ય જગતમાં હતા અને હું સિનેમા જગતમાં છું એટલે હું આ પ્રશ્ન પૂછવાની લાયકાત ધરાવુ છું. પ્રશ્ન એ છે, સાહિત્ય અને સિનેમા આ બે માં કયું બળવત્તર છે?" ત્યારે સ્ટીવન સ્પીલબર્ગે સરસ પ્રત્યુતર આપ્યો, " if it is not to page, it will be never on stage." અર્થાત કાગળ ઉપર જો આ વસ્તુ નહીં હોય તો સ્ટેજ ઉપર આ વસ્તુ કેવી રીતે પહોંચશે ! સ્ક્રિપ્ટ લખાય જ નહીં તો અભિનેતા રજૂઆત કેવી રીતે કરે..!
આમ તો સિનેમા જગત એ બધી કળાઓનું સંગમ સ્થાન છે. જેમાં લેખન, સંગીત, કલ્પનાશક્તિ, એકાગ્રતાથી માંડી શિલ્પ અને વેશભૂષા જેવી ઘણી બધી કળાનો સમાવેશ થાય છે. એટલે સિનેમા પણ એટલું જ મહત્ત્વનું પાસુ છે.
મૂળ વાત ત્યાં છે કે, વાંચન એ વોચિંગનું મૂળ છે. જો તમારી પાસે વાંચનશક્તિ હશે તો તમારી કલ્પનાશક્તિ, શબ્દભંડોળ અને સમજશક્તિમાં ખૂબ જ મદદરૂપ થશે. કહેવાનું તાત્પર્ય એ જ કે, આપણે મૂળ સાથે જોડાયેલા રહેવું જોઈએ. ભલે મહિનામાં ફ્રી ટાઈમ મળ્યે તમે પાંચ કે દસ મૂવી જોઈ નાખતા હોવ પરંતુ સાથે સાથે મહિનામાં એકાદ પુસ્તક વાંચવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. તો વોચિંગ અને વાંચન બંનેની વિચારશીલતા અને તર્કશીલતા શક્તિદાયક બને..!!
~ MEET BHAGAT
- Get link
- Other Apps
Comments
Post a Comment
Thanks for comments