“સ્વની શોધ..”
આપણે સર્ચ બારમાં ઘણું બધુ સર્ચ કરીએ છીએ. ચાલો આજે આપણે સ્વને સર્ચ કરીએ. સ્વની શોધ કરીએ. જોઇએ, શું આઉટપુટ આવે છે..!
આપણા દરેકની અંદર એક અદ્ભૂત, કલાત્મક માણસ છુપાયેલો છે. જીવનયાત્રા દરમ્યાન તેની મુલાકાત કરવી ખૂબ જ આવશ્યક છે.
જસ્ટ ઈમેજિન, જો મિ. મોહનદાસને દક્ષિણ આફ્રિકામાં મુસાફરી દરમ્યાન રેલવેના ડબ્બામાંથી ધક્કો દઈ અપમાન કરી બહાર કાઢવામાં ન આવ્યા હોત તો એ પોતાની અંદર રહેલા બાપુત્વને ઓળખી શકેત ખરા..?
સ્વની શોધમાં સ્વને મળવા વિકટ પરિસ્થિતિ અને યોગ્ય માર્ગદર્શક મુખ્ય ભાગ ભજવે છે.
જ્યારે હનુમાનજીને સીતામૈયાની શોધમાં જવાનું થયુ, ત્યારે વચ્ચે વિશાળ સમુદ્ર પાર કેમ કરવો? એ પ્રશ્ન હતો. એ વખતે જામવંતજીએ હનુમાનજીનો ખુદની સાથે પરીચય કરાવ્યો ને કહ્યું, “હે અંજનીપુત્ર ! આ સમુદ્ર તો આપની પાસે કશું નથી. તમે માત્ર એક જ છલાંગમા આને પાર કરી શકવાની શક્તિ ધરાવો છો.”
મહાભારતના રણમેદાનમાં યુદ્ધ પહેલા જયારે અર્જુન સ્વ જોવામાં ઝાંખો પઽયો ત્યારે અર્જુનના સારથી તરીકે ઉભેલા શ્રી કૃષ્ણએ અર્જુનની અર્જુન સાથે મુલાકાત કરાવી ને એમાંથી જે ઉદ્ભવ થયો એ જ ભગવદ ગીતા. ગીતા એટલે સ્વ તરફ દોરતો રસ્તો.
આપણી તકલીફ ત્યાં છે કે આપણને બે મિનિટનો સમય મળે તરત હાથમાં ગીતાને બદલે મોબાઇલ સ્થાન જમાવી લે છે.
દોસ્ત… હવે ક્યારેક પોતાને પણ ફસ્ટ પ્રાયોરેટી અને ઈમ્પોર્ટન્સ આપીએ. પોતાને મળવાં બાહ્ય દુનિયાથી ડિસ્કનેક્ટ થઇ ખુદ સાથે કનેક્ટ થવુ ખુબ જ જરુરી છે. એટલે જ કહ્યું,
“ મૌન અને એકાંત આત્માના શ્રેષ્ઠ મિત્રો છે.”
- હેનરી વેડ્સવર્થ લોંગફેલો
દિવસ દરમ્યાન ક્યારેક નવરાશ લઇને એકલા રહેવું પણ જરુરી છે. ગુણવંત શાહનુ એક વાક્ય મને ખૂબ ગમે છે,
“કેટલાક ખાસ કલાકો દરમિયાન આપણે 'આપણે' હોઈએ છીએ. આવા પોતીકા લાગતા ચંદ કલાકોની પ્રતીક્ષા કરવી એ પણ જીવતા હોવાનો દાર્શનિક પુરાવો છે.”
-ગુણવંત શાહ
આપણી હાલત મૃગ જેવી થઈ ગયી છે. ખબર જ નથી કે જે સુંગધી પદાર્થ મેળવવા આખો દિવસ આમ-તેમ આંટા મર્યા કરે છે એ કસ્તુરી પોતાની નાભીકમળમાં જ છે.
શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યુ, “પોતે પોતાના રૂપને જાણતો નથી, એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે.”
ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, “ પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશય અજ્ઞાની રહે? ” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દૃષ્ટિ કરતો નથી. (વ.ગ.પ્ર. – ૨૦ મુ)
જો દોસ્ત..! બે આંખો ખોલીને આખી દુનિયા તો જોવાશે પણ સ્વને જોવા બે આંખો બંધ કરીને જાતમા ઉતરવું પડશે.
ક્યારેક દર્પણમાં સ્વને જોઈ થોડી સ્માઈલ કરીએ ને પુછીએ, “કેમ છે દોસ્ત..??”
અંતમા એટલુ જ,
મારે મુજથી જ છે જીતવું,
હરાવી તુજને શું કરીશ ??
મારે મુજને જ છે પરખવું,
ચકાસી તુજને શું કરીશ ??
Comments
Post a Comment
Thanks for comments